દક્ષા પટેલ
ઘોંઘાટ રહિત, શાંત અને સૌમ્ય રીતે પોતાની કવિતામાં વિદ્રોહનો સૂર રેલાવનાર કવિ કેદારનાથ સિંહ હિન્દી સાહિત્યનું પ્રચલિત નામ છે. આપણી આસપાસ દેખાતી તમામ વસ્તુઓ અને પાત્રો કેદારનાથજીના કાવ્યનો સ્ત્રોત બને છે. ઘરે કામ કરવા આવતો ગામડીયો મજૂર અને તેનું મૌન કવિને આકુળ વ્યાકુળ કરી મૂકે છે. ફળિયામાં પડી રહેલી ભંગાર ટ્રક ઉપર ચોમાસામાં ઊગી નીકળતી કુંપળો અને વેલ તેમની અભિવ્યક્તિનું સરનામું બને છે. માણસના મરણ ઉપર મૌન પાળવાનો રિવાજ તો આપણે જાણીએ છીએ. પરંતુ કવિ તો આથમતા સૂરજ, અટકી રહેલા પાણી, તૂટેલા ઘાસ અને પડી ગયેલી છાલ પર પણ મૌન પાળવાનું કહી જાય છે. જીવન સફર દરમિયાન જોયેલાં ભીમબેટકાનાં ગુફાચિત્રો, પડરૌના બજારમાં મળેલી વ્યક્તિ કે ટ્રેનમાં મળેલ પરસેવાથી તરબતર કોઈ અજ્ઞાત જણ પણ કવિને કવિતા લખવા પ્રેરે છે. હવેલી અને મહેલની કથાઓ અને ૧૯૪૭ના ભાગલામાં સ્થળાંતર કરી ગયેલ પરિચિત લોકો પણ કવિની કલમમાં સપડાયા વિના રહી શકતા નથી. જીવનની પ્રત્યેક ક્ષણ માંથી કવિતા શોધી લેતા કેદારનાથ સિંહની કવિતાઓમાં સંવેદનાઓની સાથે સાથે ગૂઢ વિચાર બોધ પણ રહેલો છે.
તેમના સુપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ ‘યહાં સે દેખો’નો દક્ષા પટેલ દ્વારા પ્રવાહી શૈલીમાં થયેલો ગુજરાતી અનુવાદ વાચકોને હિન્દી સાહિત્યના આધુનિક અને મહત્વના કવિનો સુપેરે પરિચય કરાવશે અને તેમના કાવ્યોથી તરબતર કરી મૂકશે.