ચન્દ્રકાન્ત ટોપીવાળા
સાહિત્યનાં વિવિધ પાસાંને સમજવા વિવેચનનો આધાર મહત્ત્વપૂર્ણ બની જાય છે. ‘અંતરાલ’માં વિવેચનની સમજ આપતા લેખોની સાથે ગુજરાતી સાહિત્યનાં તાજેતરમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સમીક્ષા પણ સામેલ છે. સમય, ભાષા, રચના, જગત, સર્જક અને વાચક. સાહિત્યને સમજવા માટેનાં આ છ બિંદુઓ પર આધારિત લેખ બદલાતાં સાહિત્યસ્વરૂપોને સમજાવી ગુજરાતી સાહિત્યમાં આવેલા વળાંકોની વાત કરે છે. અનુગામી લેખ રાજશેખર જેવા આચાર્યોએ સંસ્કૃતમાં આપેલી ભાવયિત્રી અને કારયિત્રી પ્રતિભાની ઓળખ કરાવે છે. સાથે પશ્ચિમના સાહિત્યમાં પ્રસ્તુત વિવેચનની વિભાવનાઓનું વિશ્લેષણ કરે છે. આર્જેન્ટિનાના સ્પેનિશ સાહિત્યકાર હોર્હે લૂઇસ બોર્હેસ પોતાનાં લખાણોમાં ઉત્તરોત્તર કેવી રીતે ઉત્ક્રાંત થતા આવ્યા તેની વાત કરતા સંપાદક સુઝાન જિલ લેવીનના પુસ્તક ‘લેખન વિશે’ની ઝલક અહીં પ્રસ્તુત કરે છે.
કવિ કાન્તનાં ખંડકાવ્યોના છાંદસ વ્યાકરણી અને ઉત્તમ કવિ ભૃગુરાય અંજારિયાના મરણોત્તર પ્રગટ થયેલા કાવ્યસંચયમાં રહેલી પ્રાસંગિકતાની વાત કરે છે. સાથે અહીં પ્રસ્તુત છે, જર્મન કવિ રિલ્કેનાં સોનેટના ગુજરાતી અનુવાદના રસાસ્વાદ સાથે કેટલાક ગુજરાતી કવિઓના સર્જનોનો પરિચય આપતા તલસ્પર્શી લેખો.