તુષાર શુક્લ
કન્યાવિદાયની કરુણમંગલ ક્ષણ વિષે કેટલું લખાયું છે... ને લખાયું એથી વિશેષ અનુભવાયું છે... એમાં વળી એક પુસ્તક શાને? જે દીકરી દ્વારેથી વિદાય થઈ હશે અને જે દરવાજે એણે ઉંબર ઓળંગીને ગૃહપ્રવેશ કર્યો હશે એ બંને ઘર આ પ્રસંગનો મહિમા અનુભવતા જ હશે. દરવાજે ચીતરેલા લાભ-શુભ, કંકુ-પગલાં, બારસાખનું તોરણ, આંગણનો ચંદરવો, માણેકથંભ ને ભીંતો શોભાવતા થાપાના અશબ્દ ભાવનું શબ્દસ્થ રૂપ આપને જે કહેવું છે તે કહી જશે. આ પત્રો ભલે દીકરીને સંબોધાયા હોય પણ એ છે તો સહુને માટે. શ્વસુરગૃહના સહુનેય એ એટલાં જ સ્પર્શવાના... કારણ, જે આજે સાસુ છે, જેઠાણી છે, નણંદ છે. એ દીકરી ય છે કોઈની... તમે જે નથી કહી શક્યા એ કહેવાનું હું નિમિત્ત બન્યો એ મારો આનંદ!