ભાગ્યેશ જહા
કવિ શ્રી ભાગ્યેશ જ્હાનો સંબંધ આમ તો કવિતા સાથે, તેથી વધીને સંસ્કૃત સાથે પણ ખરો. પરંતુ આ બહુઆયામી સર્જક જ્યારે નિબંધો લખવા બેસે ને તેય પાછા પ્રકૃતિમય થઈને, ત્યારે આપણને મળે છે ‘પર્ણમર્મર’.
ગ્રામ્ય પરિવેશમાં ઉછરનાર ભાગ્યેશભાઈને નાનપણથી જ પ્રકૃતિ સાથે ઘરોબો રહ્યો છે. ઊગતો અને આથમતો સૂરજ, પૂનમનો ચંદ્ર, ખીલતાં પુષ્પો, રસ પીતાં પતંગિયાં, નદી અને ઝરણાંનાં વહેતાં જળ હંમેશાં એમને જીવનનો સંદેશો આપતાં રહ્યાં છે અને એમના અસ્તિત્વને રસસભર બનાવતાં આવ્યાં છે.
કુદરતનાં વિવિધ સ્વરૂપો અને બદલાતા રંગોને આત્મસાત્ કરનાર આ નિબંધો ખુલ્લા આકાશ નીચે બદલાતી જતી દુનિયાની વાત કરે છે. બદલાતી જતી ઋતુઓ અને પ્રકૃતિના સ્વરૂપને મન ભરીને માણી લેવાનો ઇશારો કરતા આ નિબંધોમાં ભાગ્યેશભાઈનો પ્રકૃતિપ્રેમ તો છલકે જ છે સાથે વાચકને પણ તેના સૌંદર્યનો અનુભવ કરાવી પ્રકૃતિ તરફ વાળવાનો સુંદર પ્રયાસ છે.
આજના સમયમાં વધતી જતી મોબાઇલની રિંગો અને વાહનનાં હૉર્નના ઘોંઘાટ વચ્ચે ભાગ્યેશભાઈએ સાંભળેલી આ પર્ણમર્મર વાચકોને પણ કર્ણપ્રિય લાગે તો નવાઈ નહીં.