સ્નેહલ ત્રિવેદી
ચાલો, ફરી એક વાર બાળક બની લટાર મારીએ પ્રકૃતિના ખોળે વસેલા વતન ‘ગાંડી ગીરમાં’.
હા, સૌરાષ્ટ્રની ગાંડી ગીરમાં જન્મેલાં અને ઉછરેલાં સ્નેહલબહેનને ડુંગરા, ટેકરા, નદી-વોંકળા અને ખેતરોની વચ્ચે રહેલાં કુદરતનાં રમણીય સ્થળોનું બાળપણથી જ ભારે આકર્ષણ રહ્યું છે. આ આકર્ષણ જ તેમના નિબંધોનું મુખ્ય અંગ બન્યું છે.
જેની છાયામાં બાળકો રમતાં એ આમલી અને તેની દંતકથાઓ... નિરંતર ખળખળ વહેતું બુઢાળું અને તેના પાણીમાં મારેલાં છબછબિયાં... ઝાઝા વસ્તારોને સમાવતી જૂના ઘરની મેડી... અને રાયણનાં ઝાડથી ભરેલું રા’નાળુ...
આ તમામ સ્થળો સાથે કેળવાયેલી આત્મીયતા અને તેના પરિણામે ઉદ્ભવેલી મીઠી સ્મૃતિઓ માનવ અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધને ઉજાગર કરે છે. વધતા જતા શહેરીકરણના લીધે પ્રકૃતિના નકશા પરથી ભૂંસાતાં જતાં આ સ્થળો હૃદયમાં વિષાદ પણ જન્માવે છે. સ્થળો ઉપરાંત માણેકબા, કાશીમા, જીવુબા અને મઢીના બાપુ જેવા અનેક વ્યક્તિત્વોમાં વીતેલા સમયની ભવ્યતા છલકાતી જોવા મળે છે. ગીરનાં સાવજ, દીપડા અને પાલતું પશુ આ નિબંધોમાં અનેરાં પાત્રો બની ડોકાં દે છે. નર્મદાકાંઠે વિતાવેલી ચૈત્રી રાત અને તુલસીશ્યામના મેળે લૂંટેલો આનંદ લેખિકાએ અહીં શબ્દસ્વરૂપે વહેંચ્યો છે. બદલાતી ઋતુઓ સાથે ઊજવાતા ઉત્સવો અને પરંપરાઓની સરવાણી દરેક નિબંધમાં વહેતી જોવા મળે છે. સૌરાષ્ટ્રની તળપદી ભાષા અને મિજાજથી મહેકતા આ નિબંધોમાં અસલ સૌરાષ્ટ્ર અને તેનું ગ્રામ્યજીવન સજીવન થયું છે.
સર્જક સ્નેહલબહેન ત્રિવેદીની આંખે જોવાયેલું, કાને સંભળાયેલું અને હૈયે ધરબાયેલું ગાંડુ ગીર વાચકોને પણ આકર્ષી જશે.