કુમાર જૈમિનિ શાસ્ત્રી
કવિ અને ગઝલકાર તરીકે જાણીતા શ્રી કુમાર જૈમિનિ શાસ્ત્રી ગદ્યલેખનમાં પણ આગવી હથોટી ધરાવે છે. એક સામાન્ય માનવીના જીવનને સ્પર્શતા વિષયો ઉપર તેમના વિચારો પ્રગટ કરતા લલિતનિબંધોનો સંગ્રહ એટલે સમયવન.
દિલની વાત હોય કે પ્રેમની અનુભૂતિ, આંખો-આંખોમાં થતો સંવાદ હોય કે એકબીજાથી દૂર થઈ જવાની વિકટ પળ, સંબંધોમાં દરેક માનવી દ્વારા અનુભવાતી સંવેદનાઓને કુમારભાઈએ પોતાના નિબંધોમાં ઊંડાણપૂર્વક બયાન કરી છે. હોળી, ધુળેટી, દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારોનો મહિમા અને તેની પાછળ રહેલા પારંપરિક સંદર્ભોને અનેક ઉદાહરણો સાથે આપણી સમક્ષ મૂક્યા છે. આટલું પૂરતું ન હોય તેમ પાનખર અને વસંત તેમ જ બદલાતી ઋતુઓના રંગોને પોતાની કલમમાં ઝીલી મોસમની મજા માણવાની વાચકને તક આપી છે. ક્યાંક જીવનલક્ષી વિષયો પરત્વે પોતાનું મનોમંથન ગહનપૂર્વક રજૂ કર્યું છે.
પારંપરિક રીતે લખાતા નિબંધોથી અલગ જઈને કુમારભાઈએ દરેક વિષયને અલગ-અલગ પરિમણોથી અવલોકીને તેના વિવિધ આયામો આપણી સમક્ષ ખોલી આપ્યા છે. સાથે દરેક વિષયને અનુરૂપ વિવિધ ભાષાઓમાં લખાયેલાં કાવ્યો, સુવિચારો, શેરો અને શાયરીઓ ટાંકીને નિબંધોને વધુ આસ્વાદ્ય બનાવ્યા છે. મૂળ ગદ્ય સ્વરૂપ ધરાવતા નિબંધોમાં પદ્યના રંગોની છાંટ ઉમેરી તેમને વ્યાપક બનાવાવનો પ્રયોગ દરેક નિબંધને નોખી સાહિત્ય સુગંધ બક્ષે છે.
વિષયવૈવિધ્ય અને મૌલિકતાથી ભરપૂર આ નિબંધો અભિવ્યક્તિની અનોખી દુનિયામાં લઈ જઈ વાચકોને રસતરબોળ કરી મૂકશે.