બાબુ સુથાર
લખવું એટલે? તમે કહેશો ‘લખવું એટલે લાગણીઓને વાચા આપી સંવેદનોને અભિવ્યક્ત કરવાં.’ પરંતુ કવિતાની ધૂણી ધખાવનાર કવિ બાબુ સુથાર કહે છે,‘લખવું એટલે મૃત્યુ પામવું એટલે કે કોઈક પ્રાચીન લિપિ તળે દટાઈને મરણ પામેલા પતંગિયા સાથે વાત માંડવી. મૃત્યુ પામવું એટલે લખવું.’ વળી અન્ય એક કવિતામાં કહે છે,‘લખવું એટલે વ્યંજનો અને સ્વરોની પાંપણો પર ધરતીકંપને નચાવવો.’ માણસથી ઊભરાઈ ગયેલ દુનિયા જોઈ કવિ કહે છે, ‘લખવું એટલે કાગળની સફેદાઈને ભરી દેવી માનવવસ્તીથી.’તો પ્રકૃતિ ને અનુલક્ષીને કહે છે,‘લખવું એટલે કે સમુદ્ર અને રણ વચ્ચે પ્રાસ બેસાડવો.’ ઈશ્વરના સંદર્ભમાં કવિ કહે છે,‘લખવું એટલે કે ઈશ્વરની પીડાને મનુષ્યની પીડા બનાવી ઈશ્વરને મનુષ્યથી મુક્ત કરવો.’
આમ લખવાના અનેક સંદર્ભોને પોતાનું કાવ્યતત્ત્વ બનાવી કવિ બાબુ સુથાર આપણને આપે છે એક અનોખો કાવ્યસંગ્રહ : લખવું એટલે કે...