ગૌરાંગ ઠાકર
મુશાયરા હોય કે સામયિકો, આગવી શૈલી અને ચોટદાર રજૂઆત સાથે ગૌરાંગભાઈની ગઝલોએ આગવી ઓળખ ઊભી કરી છે. આધુનિક ગઝલ સર્જનમાં પોતીકી કેડી કંડારવાની તેમની રીત આ નવા ગઝલસંગ્રહમાં પણ જોવા મળે છે. આ સંગ્રહમાં કવિ ક્યાંક પાપની વ્યાખ્યા કરતો એક નોખો શેર કહે છે તો ક્યાંક પ્રિય પાત્રને જીવનમાંથી કે હૃદયમાંથી જાકારો આપવો કેટલો કપરો હોય છે! એ વાત બયાન કરતો શેર પણ કહે છે. વળી ક્યાંક કવિની નજર માણસની માણસાઈમાં પડેલા ગોબા પર પણ જાય છે. તો ક્યાંક જાહેરાતના સ્લોગનનો ગઝલમાં અદભુત પ્રયોગ જોવા મળે છે. પ્રેમ, વ્યથા, ઈશ્વર, સંબંધો, ફિલોસોફી, દુનિયાદારી સાથે લોકડાઉન જેવા વિષયો પર કહેવાયેલી ગઝલો ગઝલરસિકોને અલાયદી અનુભૂતિ કરાવશે.