મનીષા રાઠોડ
સુવર્ણ ઇતિહાસના પાયા પર ઉજ્જ્વળ ભવિષ્યની ઇમારત ચણવા માટે પ્રોત્સાહિત કરતું પુસ્તક એટલે ‘જીના ઇસી કા નામ હૈ’. ભૂતકાળમાં બનેલી યાદગાર ઘટનાઓમાં એક સૂક્ષ્મ સંદેશ છુપાયેલો છે જે કોઈ હતાશ મનમાં આશાનું કિરણ જગાડી શકે છે, તનાવથી ઘેરાયેલા મનને સાચી દિશા બતાવી શકે છે, અસફળતાની મઝધારમાં ફસાયેલા મનને સફળતાનો કિનારો બતાવી શકે છે.
લેખિકાએ જીવનને આનંદમય બનાવવાના આધારસ્તંભ, જીવનને સાર્થક બનાવવાનાં સૂત્રો, આદર્શ પેરન્ટિંગ, સંબંધો અને લાગણીઓ જેવા આજના સમાજ અને સમયને અનુરૂપ વિષયોને લગતા ઉમદા વિચારો અનેક પ્રસંગોના આધારે પ્રગટ કર્યા છે. અને અંતે પ્રેમ અને પ્રાર્થના જેવા માધ્યમથી પરિવારને પુષ્ટ કરવાની વિવિધ ધર્મો, વિચારધારાઓ અને શાસ્ત્રોમાં દર્શાવેલી રીત પર પ્રકાશ પાડ્યો છે.
પ્રેરક પ્રસંગો અને ઘટનાઓ દ્વારા જીવનની મૂંઝવણને ઉકેલી તેને સમજવા માટેનો રસ્તો બતાવતું આ પુસ્તક દરેક વાચકને સ્પર્શી જઈ જીવનનો હેતુ સિદ્ધ કરવામાં મદદ કરશે.