ધીરુબહેન પટેલ
ઈશાન: કેટલીક વાર વહેમ પડે છે કે ઈશ્વરે એક નહીં, પણ બે દુનિયા બનાવી હશે. એક આપણા જેવાને રહેવા માટે - જ્યાં આપણે સુખી થઈએ, દુઃખી થઈએ, એકબીજા જોડે લડીએ, કંઈક નાની-મોટી ગેરસમજો કરીએ અને એકબીજાનું મોં નહીં જોવાના શપથ લઈએ, આપણી ખોટી રહેણીકરણીથી જાતજાતના રોગ નોતરીએ અને એ રોગોને મટાડવાની દવાઓ શોધવામાં બાકીની અડધી જિંદગી પૂરી કરીએ. આ બધા કારભારમાં ક્યાંય આપણને સુખનો છાંટો તો જડ્યો પણ ન હોય એટલે વળી પાછું ઈશ્વરને ભાંડવાનું ચક્કર ચલાવીએ. આ બધું પોતે ઉપર જવાનો સમય થયો હોય એટલો ઈશ્વરનો વાંક કાઢતાં કાઢતાં બિસ્તરા પોટલાં બાંધીએ પણ આપણને ખબર પડતી નથી કે પછી આપણે જાણવા માગતા નથી કે એણે એક બીજી દુનિયા પણ સર્જી છે જ્યાં પહોંચવાનો માર્ગ પણ એટલો બધો મુશ્કેલ નથી. માત્ર મન મક્કમ કરીને ચાલવા માંડીએ. ફક્ત એને પામવાનું અને એની સાથે દોસ્તી કરવાનું એક માત્ર ધ્યેય મનમાં લઈને પગલાં ઉપાડીએ... એક પછી એક પછી બીજું પછી ત્રીજું... માર્ગ ન બદલીએ, ધ્યેય ન બદલીએ બસ, ચાલ્યા કરીએ... આ ઇશાનની જેમ, તો વહેલો કે મોડો શું ન મળે? શક્ય જ નથી... ચાલતાં ચાલતાં એક પગલું તો ભરાવાનું જ; જે આપણને એની પાસે લઈ જાય... ઇશાનની જોડે ચાલ્યા જ કરીએ તો, પંથવિમુખ થઈએ નહીં તો વહેલો કે મોડો પ્રભુ મળવાનો મળવાનો અને મળવાનો જ. લોહચુંબકથી શું લોખંડ અલગ રહી શકે છે? કેટલો વખત? માત્ર એક જ વાતનું ધ્યાન રાખવું પડે. આ ગ્રહ પર ઊતરીએ ત્યારે આપણી પસંદગી ચોક્કસ હોવી જોઈએ. ડાબે જઈશું કે જમણે? ક્યાંક ઊભા તો નહીં રહી જઈએ ને? ક્યાંક આપણું ડગલું ખોટું તો નહીં મંડાઈ જાય ને... બસ, એટલી જ નાની સરખી વાત છે ઇશાનને મારગ જડી ગયો છે એ ચાલ્યો જાય છે નથી ડાબે જોતો, નથી જમણે જોતો. એના હૃદયમાં એક જ જ્યોત જલે છે... જવું છે, પહોંચવું છે અને દરેકે દરેક ડગલું એ એક જ દિશામાં - એક જ ગતિથી ચાલ્યા કરવું છે. ક્યારે પહોંચાશે? કોણ જાણે! પણ મળવું છે. હવે મળ્યા વિના નહીં રહેવાય... એ ચાલ્યો જાય છે... આપણે શાથી ન જઈ શકીએ?