ધીરુબહેન પટેલ
લગભગ દોઢ દાયકાના અંતરાલ પછી ધીરુબહેન પટેલ નવલકથાલેખનક્ષેત્રે સક્રિય થયાં અને જે નવલ લખાઈ તે ‘કોશેટો અને પતંગિયું’. ઉંમરના એક પડાવે પહોંચેલી સ્ત્રીને પોતાની રીતે જીવન જીવવું હોય તો તે જીવી શકે ખરી? અને; એ એવી ઇચ્છા કરે, સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવવાનો પ્રયત્ન કરે તો? એની મુક્તિની ઝંખનાને બંધનોની બેડી કેટલા અંશે બાંધી શકે? તેનો રસળતી શૈલીએ આ નવલકથામાં સંવેદનાસભર ચિતાર રજૂ થયો છે. કોશેટો અને પતંગિયું એક જ જીવનાં બે રૂપ અહીં નવલકથામાં પ્રતીક બની વિહરે—વિસ્તરે છે. નારીજીવનને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ નવલકથા અંતે જતાં માત્ર નારીકથા નથી બની રહેતી; બલકે, માનવ સમસ્તની ઝંખનાકથા બની રહે છે. આ નવલકથામાં સ્વતંત્રતા અને સમાનતાના માનવીય અધિકારોને ધીરુબહેન પટેલે સ્થિતપ્રજ્ઞ રહીને આલેખ્યા છે.