શિરીષ પંચાલ
ઇંગ્લૅન્ડના ઉત્તમ નવલકથાકારોની વાત કરતી વખતે વિવેચકો ‘રેબેક્કા’ના આ સર્જક એમિલી બ્રોન્ટીની વાત ખાસ કરતા નથી, પણ કોઈ લોકપ્રિય નવલકથા કેટલી હદે ઉત્તમ કૃતિ હોઈ શકે, માનવચિત્તનાં સાતે પાતાળ કેટલી હદે તાગી શકે, લોકપ્રિયતા અને પ્રશિષ્ટતાનો સમન્વય કેવી રીતે કરી શકે તેનો નમૂનો આ નવલકથા-રૂપાંતર ‘રાજેશ્વરી’એ પૂરો પાડ્યો છે. આખી કથા નાયિકા તેજલ ઠાકોરનાં સંસ્મરણો રૂપે આપણી પાસે આવે છે. નાયિકા પોતાના સ્વપ્નજગતનું વર્ણન કરે છે, એના આધારે પણ ખ્યાલ આવશે કે વર્ણન કરી રહેલી વ્યક્તિનો ભૂતકાળ જુદો હતો, તે જે વાતાવરણથી પરિચિત હતી તે વાતાવરણ હવે રહ્યું નથી. અત્યારે કશું જ રહ્યું નથી. ભૂતકાળમાં ઘણું બધું હતું, શું-શું હતું એ ભૂતકાળમાં? ત્યાં એક હવેલી હતી, ભવ્ય હવેલી. નાયિકા એકલી નથી, કારણ કે ‘અમે’ સર્વનામનો ઉપયોગ થયો છે. કોણ છે આ નાયક? આરંભે કશી સ્પષ્ટતા કરવામાં આવી નથી, વાચકને સમજાઈ જાય છે કે નાયિકા તેના પતિની વાત કરી રહી છે, આપણે નાયિકાની આંખે બધું જોઈશું. અનેક પ્રકારની આપત્તિઓ આ પતિ-પત્નીએ વેઠી છે, પણ કયા પ્રકારની આપત્તિઓ? સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી અને એ રીતે વાચકોની જિજ્ઞાસાવૃત્તિ પ્રગટાવી છે. આપણને આછીપાતળી જાણકારી મળે છે કે તેઓ જે હવેલીમાં રહેતાં હતાં તે હવેલી હવે રહી નથી, કોઈ ભાડાના મકાનમાં હવે રહેતાં થયાં છે – એક સ્થિતિમાંથી ઊંચકાઈને બીજી સ્થિતિમાં.