ખલિલ ધનતેજવી
લગભગ બે દાયકાના અંતરાલ પછી ખલીલ ધનતેજવીએ ગુજરાતીમાં બિલકુલ ફ્રેશ નવલકથા લખી છે : ‘સુંવાળો ડંખ’. પ્રણયત્રિકોણ - ચતુષ્કોણની રસાકસીભરી આ નવલકથામાં એક તરફ ગામડામાં પાંગરેલો સ્વાતિનો બાળપણનો એકતરફી પ્રેમ છે, તો બીજી તરફ કવિહૃદયમાં ઝંકૃત થયેલો પારુલ માટેનો સમજણ ભરેલો સ્નેહ છે. આ બે પ્રેમની વચ્ચે અટવાતા રાજેશની આ જીવનની નવલ કથા છે, જે ગામ અને શહેર વચ્ચે સંઘર્ષરત યુવાનની કથાયે બની રહે છે. નવલકથામાં, પરણ્યા પછીયે પ્રેમીને ન ભૂલી શકતી સ્વાતિ છે, તો પરંપરા સામે ઝૂકીને પરણેલા રાજેશની પત્ની સુધા પ્રત્યેની નિષ્ઠા છે. એક તરફ રાજેશની પત્ની સુધાની પતિપરાયણતા અને પતિને ચાહનારી સ્વાતિનો સહજ સ્વીકાર છે, તો બીજી તરફ સ્વાતિનો એકતરફી આક્રમક પ્રેમ છે અને ત્રીજી તરફ પ્રેમી રાજેશને પામવા દુનિયાદારી સામે જંગે ચડવા તૈયાર પારુલ છે. આ બધાં વચ્ચે ઝોલાં ખાતા કવિ બનેલા રાજેશની પારુલ માટેના પ્રેમને લગ્નમાં સાકાર કરવાની જદ્દોજહદ છે.