પ્રદીપ ખાંડવાળા
સ્વ, સંબંધો, સમાજ, સંસ્કૃતિ અને સ્વતંત્રતાની કાવ્યાત્મક સફર એટલે ‘બંધન અને મુક્તિ’. બધું પામવા છતાં પાસે કશું ન હોવાનો અહેસાસ અને બધી રીતે સ્વતંત્ર હોવા છતાં મુક્તિ પામવાનો તલસાટ પ્રદીપભાઈનાં કાવ્યોનો મુખ્ય સૂર છે. પાંચ વિભાગમાં વહેંચાયેલા આ કાવ્યસંગ્રહનો પ્રથમ વિભાગ ‘હુંકારની ઢાલ’ માણસના ‘હુંપણા’ની દૈહિકથી લઈને અંતરિક્ષ સુધીની સફર કરાવે છે. બીજા વિભાગમાં કવિ ‘મુક્તિની ભેખડ’ પર ઊભેલા છે. આ પ્રકરણ યુવાનીની તેજીથી શરૂ કરી બુઢાપાની મંદી સુધી કરેલા મનોમંથનને કાવ્યાત્મક સ્વરૂપે રજૂ કરે છે. ‘પ્રેરણાસ્રોત’ નામનો ત્રીજો વિભાગ મનુષ્યની આકાંક્ષાઓ અને જિજીવિષાનું નિરૂપણ છે. અંતરમુખી બની સ્વયંની ખોજ પર નીકળેલો માનવી સૂર્ય સુધી પહોંચવાની સફર આદરે છે અને મનુષ્યત્વનું પ્રેરકગાન કરે છે. ‘ગબડતી સંસ્કૃતિ’ નામના ચોથા વિભાગમાં ક્ષીણ થતી સંવેદનાઓ અને હ્રાસ પામતી માનવસભ્યતાનું ભારે હૈયે નિદર્શન કર્યું છે. પાંચમા વિભાગમાં કવિ ‘માનવતાનું ગૂંથણ’ કરી આશાનાં કિરણો પ્રગટાવે છે. અહીં માનવતાની જ્યોત પ્રગટાવતાં ચરિત્રોનું લેખન મનુષ્યમાં ફરીથી શ્રદ્ધા પ્રગટાવી જાય છે.
સરળ શબ્દો છતાં પંક્તિઓની શૈલી એક નવી જ અભિવ્યક્તિનો ઉઘાડ કરી ભાવકને વૈશ્વિક સંવેદનાનો સ્પર્શ કરાવે છે. સ્વ અને સમષ્ટિના પ્રશ્નો અને એનાં સમાધાનો શોધવાના આશયે કરાયેલું આ કાવ્યાત્મક ચિંતન ભાવકોની અંગત અનુભૂતિ બની રહેશે.