ચિત્રા દેસાઈ
ચિત્રા દેસાઈ માટે કાવ્યલેખન પ્રક્રિયા કેવી છે? તે માટે તેઓ એક અત્યંત સુંદર કલ્પન આપે છે તે છે બાજ પક્ષીનું. આ પક્ષી જે રીતે પોતાના આયુષ્યના ચાલીસ વર્ષ પછી તેની ચાંચ ઘસી-ઘસીને કાયાકલ્પ માટે અણીદાર કરે છે અને નવું આકાશ શોધે છે એમ આ કવયિત્રીએ જીવનના એક લાંબા અંતરાલ પછી જીવનના નવ્ય કાયાકલ્પ માટે શોધી એક નવી જમીન. મા-નાની-વડનાનીની વાર્તાઓ પડઘાય છે. ગામનાં લોકગીતો સંભળાય છે. જેઠ-વૈશાખની બળતરા બાળે છે તો શ્રાવણ-ભાદરવાનો વરસાદ ઠારે-પલાળે પણ છે. સૂક્ષ્મ રીતે જોઈએ તો આ પંચતત્ત્વોની એકરૂપતા જ તેમની કવિતાઓની પૃષ્ઠભૂમિ બની છે.
ચિત્રા દેસાઈ, સાંપ્રત સમયના હિન્દી કાવ્યપ્રેમીઓ માટે એક લોકપ્રિય નામ. આજે ચિત્રા દેસાઈના કાવ્યવિશ્વનું દ્વાર ગુજરાતી કાવ્યપ્રેમીઓ માટે પણ ઊઘડી રહ્યું છે. હિન્દીમાં તેમણે બે કાવ્યસંગ્રહ આપ્યા છે. પહેલો કાવ્યસંગ્રહ ‘सरसों से अमलतास’, બીજો કાવ્યસંગ્રહ તે ‘दरारों में उगी दूब’.