ગૌરાંગ દિવેટિઆ
અગમ અગોચર વિશ્વ અને જીવનની ગૂઢ બાબતોને સરળ-સહજ શબ્દોમાં અભિવ્યક્ત કરવાનો પ્રયાસ શ્રી ગૌરાંગભાઈએ પોતાના નવા કાવ્યસંગ્રહ દ્વારા કર્યો છે.
અંધારાં-અજવાળાં, તડકા-છાંયડા, સુખ-દુઃખ, જીવન-મૃત્યુ જેવી વિસંગતિઓ આ કાવ્યમાં કદી પ્રશ્ન રૂપે તો ક્યાંક મૂંઝારા રૂપે પ્રતિબિંબિત થાય છે. એકબીજાને ગમતી બે વ્યક્તિઓ વચ્ચે થતો પ્રેમભર્યો સંવાદ પણ કાવ્ય સ્વરૂપે અહીં પડઘાતો જોવા મળે છે. દરેક કાવ્ય સાથે સર્જાતો સુખદ નાદધ્વનિ ‘કવિતા કાનની કલા છે’ એ ઉક્તિને સાર્થક કરે છે.
સંગ્રહમાં સામેલ ગીતો અને ગઝલો મહદ્ અંશે વિચારપ્રધાન ન હોવા છતાં ઊર્મિપ્રધાન હોઈ વાચકની આસપાસ એક અનોખું ભાવવિશ્વ ખડું કરે છે. મોઘમ સંવાદ, ઊર્મિસભર અભિવ્યક્તિ અને ગેયતા સાથે રચાયેલાં આ કાવ્યો વાચકોને શુદ્ધ કાવ્યોનો આનંદ પીરસી રસતરબોળ કરે છે.