નરસંહારના સમયમાં પ્રેમ
Narsanharna Samayma Prem
જેમ શીર્ષક સૂચવે છે તેમ, આ સંગ્રહનાં કાવ્યોમાં કવયિત્રી અનેક વિષમ પરિસ્થિતિઓ અને યુદ્ધની વિભીષિકાઓ વચ્ચે પ્રેમ અને માણસાઈ જેવાં સંવેદનોને શોધવાનો પ્રયત્ન કરે છે. પછી એ મહાભારત હોય કે કલિંગનું યુદ્ધ હોય, બીજું વિશ્વયુદ્ધ હોય કે ગાઝા પર થયેલાં આક્રમણો. આ પ્રયત્નમાં ક્યાંક તેમનો તીવ્ર આક્રોશ છલકાય છે તો ક્યાંક નીકળે છે બળાપો. કવયિત્રીનું ભાવજગત સીમિત ના રહેતાં વિસ્તરે છે વિશ્વવિખ્યાત ચિત્રકાર વાનગોગ અને પિકાસોનાં ચિત્રો સુધી અને તેમના મૂક ભાવોને શબ્દદેહ આપે છે. સંબંધો અને લાગણીઓની પરિભાષાને અભિવ્યક્ત કરતાં પ્રેમકાવ્યોમાં રૂઢિગતતા વિરુદ્ધ અવાજ તો ઉઠાવે જ છે, સાથે કશુંક સંવેદનહીન થઈ ગયાની ભારોભાર પીડાને અભિવ્યક્ત કરે છે. સંબંધને લીસ્સા રેશમી વસ્ત્રની નહીં, પરંતુ બરછટ છતાં મજબૂત શણની ઉપમા આપી એનું વાસ્તવિક રૂપ રજૂ કરે છે. તો ક્યાંક અશોકચક્ર અને ચાર સિંહોને પ્રતીક બનાવી એક કૉમનમૅનના શોષણ અને સંઘર્ષનો ચિતાર આપે છે. જ્યારે આજની સ્ત્રીને ચારણકન્યા જેવી બહાદુર બનાવવા દિશાસૂચન કરતું કાવ્ય ઘણું સૂચક છે તો ભ્રૂણહત્યા જેવા દૂષણને કારણે એક માને થતી વેદનાને વાચા આપી છે. ક્યાંક સુપડકન્નારાજાની બોધવાર્તાનો સાર લઈ રાજકીય પરિપ્રેક્ષ્ય રજૂ કરતું વ્યંગ કાવ્ય પણ આપે છે.
પ્રેમ, વેદના, સામાજિક અસમાનતા અને બદલાતા જતા સમયની વરવી વાસ્તવિકતાને રજૂ કરતો આ કાવ્યસંગ્રહ બહોળું વિષયવૈવિધ્ય ધરાવે છે, જેમાં કવયિત્રીનો નોખો અવાજ પડઘાય છે. નરસંહારના સમયમાં પ્રેમ શોધતો આ કાવ્યસંગ્રહ ભાવકોને વાસ્તવિક ભાવવિશ્વની નિકટ લઈ જશે.
ઝેન ઓપસના QR-શ્રાવ્ય ફીચરથી સજ્જ આ કાવ્યસંગ્રહ તમે કવયિત્રીના પોતાના અવાજમાં સાંભળી પણ શકશો અને વાંચી પણ શકશો.
Product Details
- Pages:200 pages
- Language:Gujarati
- Format:Paperback