યોગેશ વૈદ્ય
વન સાથેના માણસના આ જ સહજીવનની અજોડ અને અનન્ય વાત કરે છે આ દીર્ઘકાવ્ય.
અહીં એક એવા પરિવારની વાત છે જેણે કદી શહેરની સડક ભાળી નથી. જંગલની મધ્યે નેસમાં વસતા આ પરિવાર માટે જંગલ જ તેમની સૃષ્ટિ છે અને પશુ-પંખી અને પ્રાણીઓ જાણે તેમનો પરિવાર! જન્મ અને મરણ જેવા પ્રકૃતિગત સત્યને સ્વસ્થતાથી અને સહજતાથી સ્વીકારનાર આ મનુષ્યોને ગીરની માટી પ્રત્યે અનન્ય શ્રદ્ધા છે. આ જ શ્રદ્ધાનો સૂર આ કાવ્યમાં ઝિલાયો છે. પોતાના કે પોતાના ઢોર પર હુમલો કરનાર જનાવરને કોસવાને બદલે તેને ભરણપોષણનો એક ભાગ ગણી તેનો સ્વીકાર કરવાની હિંમત રાખતા આ પરિવારોના નોખા-અનોખા રીતિ-રિવાજો આ કાવ્યને ઉત્સવમય બનાવે છે. તો બીજી તરફ વધતા જતા શહેરીકરણ અને મૂડીવાદ તેમની પોતાની જગ્યાને હડપીને તેમને વિસ્થાપિત કરવા માગે છે ત્યારે આ પરિસ્થિતિની સામે કોઈ બંડ પોકારવા કે ફરિયાદ કરવાને બદલે તેને નિયતિનો કોઈ નિર્ણય ગણી સ્વીકારે છે, પરંતુ અંદરથી તૂટી ગયેલી આ વ્યક્તિઓ ડુંગરાની ટૂંકે જઈ અફાટ રુદન કરી પોતાની વ્યથા હળવી કરે છે.
952 પંક્તિઓ અને છ સર્ગમાં લખાયેલું આ પ્રલંબકાવ્ય ગીરમાં પાંગરતી છ ઋતુઓના વિવિધ રંગો અને સુંદરતાને પણ કંડારે છે. સોરઠી વાણીનો તળપદો લહેકો અને વિવિધ છંદોનો લયબદ્ધ પ્રયોગ રચનાને એક નવો શબ્દનાદ બક્ષે છે.
પંક્તિએ પંક્તિએ જીવંત થતું ગીર વાચકને સોરઠભૂમિના આતિથ્યથી નવાજાતું જણાય છે. અરણ્યની સાથેના મનુષ્યના ગાઢ સંબંધ સાથે તેની કરુણાને શબ્દબદ્ધ કરતું આ દીર્ઘકાવ્ય ગુજરાતી કવિતામાં તળપદી મીઠાશ ઉમેરતું જણાય છે.