શ્રદ્ધા ભટ્ટ
સંબંધોના મહાસાગરમાં જીવતા મનુષ્યના મનોજગતમાં ભાવોની અનેક ભરતી અને ઓટ આવતી હોય છે. આવા જ અકથ્ય ભાવોની ભરતી અને ઓટને શ્રદ્ધાબહેને ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપ્યું છે. વાર્તાનાં પાત્રો ખૂબ સામાન્ય છે જે આપણી આસપાસ જ જીવતાં હોય છે, પરંતુ તેમની જિંદગીમાં જ્યારે અનાયાસ ઘટના ઘટે છે ત્યારે જિંદગી વળાંક લે છે. અને આ જ વળાંક પર ઊભા રહી શ્રદ્ધાબહેને વાર્તાને ઝીલી છે. આ વાર્તાઓમાં પાત્રોના બદલાતા મનોભાવોને સંવેદનશીલ રીતે વાચા આપવામાં આવી છે.
ક્યાંક કોઈક વાર્તાને કરુણતાના રંગે રંગી છે તો ક્યાંક ઈર્ષાભાવ કેન્દ્રસ્થાને જોવા મળે છે. ક્યાંક વિયોગ પછીની એકલતાની પીડાનો દર્દભર્યો ચિતાર જોવા મળે છે તો ક્યાંક નામની ઓળખ મેળવવા માટે થતા સંઘર્ષની વાત છે. વાર્તાઓમાં પાત્રોનો વ્યાપ ઘણો વિશાળ જણાય છે. દરિયાકિનારાના ખારવાથી લઈને શહેરી યુવતીઓ કે પછી આજની જેન-ઝી પેઢીને અનુલક્ષીને વાર્તાઓ કહેવામાં આવી છે. ક્યાંક વળી તરુણીના પ્રેમની વાત છે તો ક્યાંક આધેડ વયના પુરુષનું અધૂરું સ્વપ્ન છે. સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય તેવા સંબંધોને પણ અહીં સ્થાન મળ્યું છે.
વાર્તાનું પોત જે પૃષ્ઠભૂમિ પર બંધાય છે તેનું નિરૂપણ ખૂબ જ સચોટ અને અસરકારક હોવાથી દરેક વાર્તા રસપ્રદ બની છે. સાથે જ વાર્તા કહેવાની શૈલીમાં એક પ્રકારની રહસ્યમયતા જળવાઈ હોવાના કારણે વાચકને છેક સુધી જકડી રાખે છે.
પાત્રોના એકબીજા સાથેના સંબંધોની ક્રિયા-પ્રતિક્રિયાની સાથે દરેક પાત્રના પોતીકા આંતરિક સંવેદનજગતને સુપેરે બયાન કરતી આ વાર્તાઓ એક નવો પડધો પાડી રહી છે, જે વાચકોને કંઈક નવું વાંચ્યાનો અનુભવ કરાવશે.