સમીરા દેખૈયા પાત્રાવાલા
યુવા લેખિકા સમીરા દેખૈયા પત્રાવાલા વિચારબીજથી લઈને વાર્તા લખવા સુધીની સફર ખેડી સત્તર ચોટદાર વાર્તાઓનું સર્જન કરે છે. આ વાર્તાઓ ભાવકો સુધી પહોંચવા માટે સ્વરૂપ લે છે એક પુસ્તકનું જેનું શીર્ષક છે ‘ફકીરની પાળ’. આ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે.
ગઝલકાર નાઝિર દેખૈયાના પૌત્રી સમીરા નાનપણથી જ પોતાની લાગણીઓને ડાયરીમાં ટપકાવતાં આવ્યાં. તેમનો આ શોખ તેમને વાર્તાકાર બનવા તરફ લઈ જાય છે.
સાદી શૈલી તેમજ રસાળ પ્રવાહમાં લખાયેલી આ વાર્તાઓમાં ક્યાંક એક પાળ શ્રદ્ધાના દોરા ધાગામાં ગૂંચવાયેલા ફકીરની વ્યથાને આબાદ રજૂ કરે છે. ક્યાંક સુમસામ પડેલો એક રસ્તો પોતાની આસપાસની ઘટતી ઘટનાઓનું ભાવવાહી વર્ણન કરે છે. બાબુ ઘડિયાળીની બંધ પડેલી ઘડિયાળોમાં તેની ગુપ્ત પ્રેમકથા છુપાયેલી છે. તો એક દરવાજો સાંપ્રત સમયની અનેક વણઉકેલાયેલી સમસ્યાઓને બયાન કરે છે. આધુનિક અભિગમ અને માનવીય ચેતનાનો સમન્વય સાધતી આ વાર્તાઓ વાચકને નવા અને રસપ્રદ કથાનકનો અનુભવ પૂરો પાડે છે.