દીવાન ઠાકોર
જિવાતા જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ મનની સપાટી પર અથડાયા કરતી હોય છે. આ ઘટનાઓથી ઉદ્ભવતાં સંવેદનો શબ્દનું રૂપ ધરી વાર્તા બની જાય છે. વાર્તાકાર દીવાનભાઈ ઠાકોર પણ આવી ઘટનાઓ સાથે સ્વને જોડીને વાર્તાસર્જન કરતા આવ્યા છે. તેમની વાર્તાઓ વિષયવૈવિધ્ય તો ધરાવે જ છે, સાથે પ્રયોગશીલ પણ છે. આ વાર્તાઓ દર્દનું દર્પણ છે, પીડાનો પડછાયો છે. નાનાં સુખોનું સરનામું છે અને કલ્પના અને વાસ્તવિકની જુગલબંધી છે.
દૂરદરાજના ગામમાંથી ટ્રેનમાં અપડાઉન કરી શહેરમાં પેટિયું રળવા આવતા મજૂરની શેઠને પૈસા માટે કરાયેલી આજીજી વાચકના હૃદયને હચમચાવી મૂકે તેવી છે. સ્મશાનમાં શબને બાળવા માટે લાકડાં ગોઠવી આપતા શ્રમિકના અતીતને ફંફોસીને એક પ્રેમકથા જીવંત કરી છે. પત્નીના અવસાન પછી અને દીકરીને વળાવ્યા બાદ એકાકી જીવન ગાળતા વૃદ્ધનો ખાલીપો અહીં અભિશાપ બની રણકી ઊઠ્યો છે. મોબાઇલ પર ચૅટ કરતાં કરતાં પરપુરુષ પ્રત્યે આકર્ષાતી ગૃહિણીને મળે છે વાસ્તવિક આઘાત.
આપણી આસપાસ જીવતા આવતા સામાન્ય મનુષ્યો તો દીવાનભાઈની વાર્તાનાં પાત્રો બન્યા છે, તો ક્યાંક વિશ્વવિખ્યાત નવલકથા ‘આઉટસાઇડર’નો મ્યુરસોલ્ટ પણ તેમની વાર્તાનો નાયક બન્યો છે.
સ્થળ અને કાળનાં આબેહૂબ વર્ણનોની સાથે ઘટનાની રસપ્રદ અને સંવેદનશીલ ગૂંથણી દરેક વાર્તાને વિશિષ્ટ બનાવે છે અને સુંદર કથાપટ સર્જી વાચકના મનને તરબતર કરી મૂકે છે.