સરોજિની જિતેન્દ્ર (ડૉ.)
પરમાત્મા અને આત્મા, તન અને મન, જીવન, મૃત્યુ અને મોક્ષ જેવા વિષયોએ આદિકાળથી માનવીની જિજ્ઞાસાને જીવંત રાખી છે. દરેક યુગમાં દરેક સમયે આ તત્ત્વોને વિવિધ દૃષ્ટિકોણ અને પદ્ધતિઓથી જાણવા અને પામવાના પ્રયત્નો થતા રહ્યા છે. વર્ષ 1939માં શોધાયેલી ‘કિરલિયન ફોટોગ્રાફી’ અને સન 1970માં થયેલી વિશિષ્ટ કૅમેરાની શોધ દ્વારા જાણી શકાયું કે માનવદેહની આસપાસ એક તેજોમય પ્રકાશનું વર્તુળ જોવા મળે છે જેને આત્માની ઊર્જા કે પ્રકાશ કહી શકાય. સર્વ પદાર્થોનો અંતિમ ઘટક શુદ્ધ ઊર્જા છે, જે સકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે, જેનો આધાર પૂર્વજન્મના સંસ્કારો અને આ જન્મનાં કર્મો પર રહેલો છે. ગત જન્મના અનુભવો વર્તમાન જીવનને કઈ રીતે પ્રભાવિત કરે છે અને તેના કારણે જીવનમાં કેવી સમસ્યાઓ ઉદ્ભવે છે તેના પર પ્રકાશ પાડી તેનું સમાધાન શોધવાનો પ્રયાસ એટલે પાસ્ટ લાઇફ રિગ્રેશન અર્થાત્ પૂર્વજન્મનું અનુસંધાન. પરમાત્માથી સર્જાતા આત્મા અર્થાત્ શ્વેતાત્માની સફરને જાણવા, સમજવા અને પામવા માટેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રજૂ કરતું આ પુસ્તક આત્મા, તન અને મનની માહિતી મેળવી તેના સમન્વયથી બનતા જીવન અને તેના ઉદ્દેશને ઓળખવા માટેની સમજ આપે છે.
- પૂર્વજન્મ અનુમાન છે કે સત્ય?
- તન, મન અને આત્માના સંયોજનથી બનેલું જીવન શું છે અને તેનું ચૈતન્ય સ્વરૂપ કેવું છે?
- શરીર શું છે અને તેને આત્માની જરૂર શા માટે છે?
આ તમામ પ્રશ્નોના વૈજ્ઞાનિક રીતે જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પુસ્તકમાં.