સુજ્ઞા શાહ
શ્રીમતી રાણી ચંદ વર્ષ 1927માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં આવે છે. એક શિષ્યા, સેવિકા અને અનુયાયી તરીકે રાણી ચંદ મોટાભાગનો સમય ગુરુદેવ સાથે વિતાવે છે અને તેમની જીવનયાત્રાના સાક્ષી બને છે. તેમને રવીન્દ્રનાથના વિવિધ સ્વરૂપો જોવા મળે છે. કવિતાઓનો રસાસ્વાદ કરાવતા ગુરુદેવ, ચિત્રકામ કરતા ગુરુદેવ, શાંતિનિકેતન અને આશ્રમના વિકાસ માટે તત્પર ગુરુદેવ, કન્યાઓની વૈચારિક સ્વતંત્રતાને પ્રેરણા આપતા ગુરુદેવ. રાણી ચંદ ગુરુદેવ સાથે મુંબઈ, હૈદરાબાદ જેવા અનેક શહેરોમાં પ્રવાસ કરતાં, અનેક મહાનુભાવોને મળતાં અને તેમની વાતચીત અને શિષ્ટાચારમાંથી ઘણું શીખતાં. ક્યારેક ગુરુદેવ યુવાન રાણી ચંદ પાસેથી વ્રત કથાઓ પણ સાંભળી રમૂજની છોળો ઉડાડતા અને ક્યારેક જ્ઞાનવર્ધક વાતો પણ કરતા. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પુરોહિત બની રાણી ચંદના લગ્ન પણ કરાવ્યાં અને તેમને પિતૃપ્રેમ પણ આપ્યો. રવીન્દ્રનાથની છેલ્લી માંદગી સુધી એમની સાથે રહેલા રાણી ચંદ તેમની સહજ વાતો, ચર્ચાઓ અને વિવિધ પ્રસંગોની નોંધ કરતા રહેતા.
આ પુસ્તકમાં રવીન્દ્રનાથ ટાગોરનો એક બહુમુખી સર્જક તરીકે તો પરિચય મળે જ છે, સાથે એક સરળ-સહજ વ્યક્તિ તરીકે તેમની પ્રતિભા ઉપસી આવે છે. પરિસ્થિતિ અનુરૂપ દાખવવામાં આવેલી વ્યવહાર દક્ષતા, વિવિધ વિશિષ્ટ સ્થળોની અને વ્યક્તિઓની મુલાકાત દરમિયાન ઉપસી આવતી ગુરુદેવની વાક્છટા, તેમની સંવેદનશીલતા, સમયસૂચકતા અને કોઠાસૂઝના દર્શન થાય છે. રવીન્દ્રસાહિત્યના ચાહકો અને વાચકોને આ પુસ્તક ગુરુદેવના અંતરંગ અને મહાન વ્યક્તિત્વનો પરિચય કરાવે છે.