શૈલેશ પારેખ
કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને એમનાં કાવ્યોએ વિશ્વભરના કાવ્યરસિકોને અભિભૂત કર્યા. તેમની અજાણી પ્રતિભાને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવા રવીન્દ્ર સાહિત્યના અભ્યાસુ શૈલેશ પારેખે પુસ્તકશ્રેણી શરૂ કરી. આ શ્રેણીનું નવું પુસ્તક ‘રવીન્દ્ર પ્રસંગ’.
કવિવરના જીવનના મહત્ત્વનાં પ્રસંગો અને વ્યક્તિઓને આવરી લેતા આ પુસ્તકમાં સામેલ છે - ‘ગીતાંજલિ’ની શિલાઈદહથી સ્ટૉકહોમ સુધીની સફરની રસપ્રદ અને ઐતિહાસિક ગાથા. ગુરુદેવ અને ગાંધીજી વચ્ચેના અંતરંગ સંબંધોનાં જટિલ અને રહસ્યમય પાસાંને રજૂ કરતો નિબંધ. વૃદ્ધાવસ્થામાં રવીન્દ્રનાથે આર્જેન્ટિનામાં ગાળેલા વસંતના બે માસ, જે દરમિયાન તેમના જીવનમાં મૈત્રી અને સ્નેહની વસંત લઈને આવે છે વિદુષી વિક્તોરિયા ઓકામ્પો, જેને ગુરુદેવ વિજયાનું હુલામણું નામ આપે છે.
1930માં રવીન્દ્રનાથ યુરોપની મુલાકાત દરમિયાન જર્મનીમાં જુએ છે એક નાટક અને લખે છે પોતાનું પ્રથમ અને એકમાત્ર અંગ્રેજી કાવ્ય ‘ધ ચાઇલ્ડ’, જેનો ગુજરાતી અનુવાદ ‘નવજાતક શિશુ’ના શીર્ષક હેઠળ અહીં પ્રસ્તુત છે. વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને રવીન્દ્રનાથની મુલાકાત અને ચર્ચા ‘સત્યની શોધ’ શીર્ષક હેઠળ અહીં માણવા મળે છે. રવીન્દ્રનાથે પોતાના અંતિમ જન્મદિવસ પર આપેલું સંભાષણ તેમના અંતિમ વસિયતનામા તરીકે પ્રખ્યાત આ સંભાષણનો ગુજરાતી અનુવાદ પણ અહીં ટાંક્યો છે.