પ્રવીણસિંહ ચાવડા
બાળલેખકની આત્મકથા લાંબા સમયથી અપ્રાપ્ય હતું; હવે તે નવા રૂપરંગમાં પ્રસ્તુત થાય છે.
કિશોરાવસ્થાનાં સાહિત્યિક સંસ્મરણોનું આ નાનું પુસ્તક તેના વિશિષ્ટ વિષય અને આગવી શૈલીને કારણે આસ્વાદ્ય બન્યું છે. એક કિશોરનો અદમ્ય સાહિત્યપ્રેમ અને એ ઉંમરે કાવ્યો તથા વાર્તાઓ લખવાના એના અણઘડ પ્રયાસોની વાત કહેવાઈ છે રમૂજ સાથે, પણ એની પાછળ વેદનાનો એક પાતળો સૂર સતત સંભળાયા કરે છે. લખવા માટે પ્રોત્સાહિત કરતા મોટાભાઈ, શિક્ષકો તથા અન્ય વડીલોની ઝાંખી આકૃતિઓ ગ્રીક નાટકના કોરસની જેમ પશ્ચાદભૂમાં ઊભેલી છે.
ટૅક્નોલજીના આ યુગમાં વાચન ઓછું થઈ ગયું છે અને માતૃભાષા તથા તેના સાહિત્યના અસ્તિત્વ વિશે પણ ચિંતા સેવાઈ રહી છે ત્યારે સાહિત્ય પ્રત્યેના સમર્પણની આ કથા વધારે અર્થપૂર્ણ બની રહે છે.