આરાધના ભટ્ટ
વિદેશસ્થિત ભારતીય મૂળની પ્રતિભાઓ પૈકીના એક ઉત્તુંગ શિખર સમા શ્રી ભીખુભાઈ પારેખનાં મૂળ દક્ષિણ ગુજરાતના અમલસાડ નામના નાનકડા ગામમાં છે અને એમની પ્રતિભાથી એમણે વિશ્વસ્તરે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. એમના વિચારો તેમજ જીવન ગુજરાતી વાચકો સુધી પહોંચે એ આ અનુવાદનો મુખ્ય હેતુ છે. પુસ્તકનું સ્વરૂપ પ્રશ્નોત્તરીનું છે. મૂળ ઈરાનના વિશ્વવિખ્યાત લેખક-વિચારક રમીન જહાનબેગલુ સાથેનો આ સંવાદ બે બળિયા વચ્ચેનો વિમર્શ છે. બંનેનું કાર્યક્ષેત્ર એક જ છે અને પ્રો. ભીખુ પારેખના જીવન અને લેખનના અભ્યાસુ એવા રમીન જહાનબેગલુ એક પ્રશ્નકર્તા અને ચર્ચાકાર તરીકે સોળે કળાએ ખીલ્યા છે અને એમ સર્જાયો છે બે અભ્યાસનિષ્ઠ વ્યક્તિત્વો વચ્ચેનો એક ઉત્કૃષ્ટ સંવાદ, જે પ્રો. પારેખના જીવનનાં સંઘર્ષમય વર્ષોથી શરુ થતો એમના જીવનના અને વિચારોના ઘડતરમાં પાયારૂપ પરિબળોનો તેમજ રાજકીય તત્ત્વચિંતનના મૂળભૂત સિદ્ધાંતોનો એક અદ્ભુત દસ્તાવેજ બન્યો છે.