આરાધના ભટ્ટ
લોકશાહીનો ચોથો સ્તંભ એટલે પત્રકારત્વ. અંગ્રેજીમાં એને ફોર્થ એસ્ટેટ અને ગુજરાતીમાં ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2021-22માં ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂરાં થયાં. આ બે શતાબ્દી દરમિયાન કેટલાય પત્રકારોએ આ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું. સમય અને સંજોગોની સાથે પત્રકારત્વ પણ બદલાતું રહ્યું છે. આરાધના ભટ્ટ ગુજરાતી પત્રકારત્વના પ્રતિનિધિ ગણાતા આજના પત્રકારો સાથે સંવાદ રચે છે અને પ્રશ્નોત્તરીરૂપે થયેલો આ વાર્તાલાપ પુસ્તકરૂપે રજૂ કરે છે. જેમાં ગાંધીયુગીન પત્રકારત્વના અભ્યાસુ પત્રકારો પણ છે તો કેટલાક નવયુવાન પત્રકારો પણ છે. ભવિષ્યના પત્રકારત્વની દિશા ઘડતર કરતા ઊભરતા પત્રકારોની સાથે પત્રકારત્વ ભણાવી રહેલી મહિલાઓ પણ છે. ક્યાંક સનસનાટીભર્યા રિપોર્ટિંગના અનુભવો પણ છે તો ક્યાંક રોચક પ્રસંગો, જોખમી રહસ્યો અને અજાણી હકીકતો પણ આ પુસ્તકમાં પ્રતિબિંબિત થઈ છે. ટૅક્નૉલૉજીની સાથે બદલાઈ રહેલા આ ક્ષેત્રના પડકારો અને વિકાસની વાતો પણ અહીં પ્રસ્તુત છે. ગુજરાતમાં પત્રકારત્વનું વિધિવત્ શિક્ષણ આપતી સંસ્થાઓના ઉદ્ભવ અને વિકાસની યાત્રાને મુલાકાતમાં આવરી લેવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં કાર્યરત 16 ઊર્જાવાન, નિષ્ઠાવાન અને પ્રતિભાશાળી પત્રકારોની મુલાકાત કરાવતું આ પુસ્તક ગુજરાતનાં 200 વર્ષના પત્રકારત્વનો ઇતિહાસ રજૂ કરવાની સાથે તેના ઉજ્જવળ ભવિષ્યની પણ આશા સેવે છે.