રાજેન્દ્ર પટેલ
વરિષ્ઠ સાહિત્યકાર અને સાહિત્યમર્મી ચન્દ્રકાન્ત ટોપીવાળાની પત્રચર્ચાઓ અને આવેલા ચર્ચાપત્રોનો કવિ રાજેન્દ્ર પટેલ સંપાદિત સંચય ‘વિનિમય વિવિધા’. કોઈ પણ સાહિત્ય વિવેચન વિના વામણું છે. આપણી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સાહિત્યસર્જનની સાથે વિવેચનની જ્યોત પણ ઝળહળતી રાખી છે, જેની સાક્ષી પૂરે છે તેમની અને વિવિધ સાહિત્યકારો અને તંત્રીઓ વચ્ચે થયેલો પત્રવ્યવહાર. અર્વાચીન સાહિત્ય હોય કે મધ્યકાલીન કે પછી આધુનિક, કે પછી વિશ્વની ઉત્તમ પરભાષી કૃતિઓના અનુવાદ જ કેમ ન હોય! ચન્દ્રકાન્તભાઈએ આ કૃતિઓમાંથી પસાર થઈ ઊંડાણપૂર્વક તેની સમીક્ષા કરી છે અને પોતાના પ્રામાણિક પ્રતિભાવો પત્ર દ્વારા વહેંચ્યા છે. આ માધ્યમ દ્વારા થયેલી આ ચર્ચાઓમાંથી જે તે સમયના સાહિત્યસર્જનમાંથી પડઘાતી સંવેદનશીલતા અને સામાજિક પરિસ્થિતિનો તાગ મળે છે. ક્યારેક કોઈના સર્જનને લઈને કે અન્ય સાહિત્યિક નિસબત બાબતે તેમની અને અન્ય સર્જક સાથે થયેલી ઉગ્ર તેમ જ તીખી ચર્ચાઓમાંથી ઉદ્ભવતા મતભેદોમાંથી પણ કોઈ સર્જનને સમજવાનું નોખું પરિપ્રેક્ષ્ય ઊભું થાય છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ લખેલા અને તેમને લખાયેલા પત્રોને ચાર ભાગમાં વહેંચતો આ સંચય ગુજરાતી સાહિત્યની શરૂઆતથી લઈને અત્યાર સુધીની એક સુદીર્ઘ યાત્રા કરાવે છે અને ગુજરાતી સાહિત્યસર્જનો અને સર્જકોને નિકટથી સમજવામાં મદદ કરે છે. સાહિત્યના અભ્યાસુ અને સુજ્ઞ વાચકો માટે આ સંચય એક કલેક્ટર્સ એડિશન બની રહેશે.