ખલિલ ધનતેજવી
ગુજરાતી ગઝલના ઇતિહાસમાં અને મુશાયરા મહેફિલોમાં ખ્યાત નામ ખલીલ ધનતેજવીના ઈ.સ. 2001થી 2020 સુધીમાં ‘સાદગી’ (2001), ‘સારાંશ’ (2008), ‘સોગાદ’ (2012), ‘સૂર્યમુખી’ (2014), ‘સાયબા’ (2015), ‘સાંવરિયો’ (2017), ‘સગપણ’ (2017), ‘સરોવર’ (2018), ‘સોપાન’ (2019), ‘સારંગી’ (2019) એમ દશ ગઝલસંગ્રહ પ્રગટ થયા છે. આ દસેદસ સંગ્રહોને સમાવતા આ ગઝલસંપુટ ‘સમગ્ર’માં બધી જ, સાડા નવસો જેટલી ગઝલોનો સમાવેશ થયો છે.
આ ગઝલોમાંના શેરો ક્યારેક ક્વૉટેબલ ક્વૉટ્સ બની જાય છે, તો ક્યારેક જિંદગીનો ઑડિયો વિઝ્યુઅલ ઍક્શન રિપ્લે; ક્યારેક ચાંદ, સૂરજ, ફૂલો, કિતાબો, બાગો, સમંદરો, સુગંધો, ફરિશ્તાઓને અમર બનાવી દે છે, તો ક્યારેક આહ, પીડા, નિસાસાને દાર્શનિક વસ્ત્રો પહેરાવીને આપણાં અશ્રુઓને ઝીલતો રૂમાલ બનાવી દે છે.
ખલીલભાઈને આ બધી જ ગઝલ મૌખિક છે. તેમણે ક્યારેય પોતાની ગઝલો કાગળ પર નથી લખી. સંગ્રહ પ્રગટ કરતી વખતે યાદ કરી કરીને લખાવી છે. પરંપરિત ગઝલોના સુવર્ણયુગ સમયે લખાયેલી આ ગઝલોમાં ખલીલ ધનતેજવીનો પોતીકો મિજાજ પ્રગટ્યો છે. સાકી, સુરા, જામની ગઝલોના સમયમાં સામાજિક સત્ત્વ-તત્ત્વનો સંસ્પર્શ પામેલી તથા યુવા દિલોને સ્પર્શતી આ ગઝલોમાં પુનરાવર્તન-દોષ નથી.