કાજલ ઓઝા વૈદ્ય
મહેન્દ્ર, માધવી અને રીમાની આ કથા, પરિણય, પ્રણય અને પીડાની કથા છે. ‘એક સાંજને સરનામે’ સમયના કાગળ પર સંબંધની શાહીથી લખાયેલો એક એવો પત્ર છે, જે વારંવાર પાછો ફરે છે... ક્યાંય પહોંચતો નથી! માધવી અને મહેન્દ્ર.... ફરિયાદ વગર, ઝઘડ્યા વગર અદ્ભુત જીવ્યાં. ક્યારેક ઈશ્વરને પણ માણસના સુખની ઈર્ષા આવતી હશે? એમની જિંદગીમાં પણ એવું જ થયું... માધવીએ અચાનક આ દુનિયા છોડી દીધી. ...પછી મહેન્દ્રના જીવનમાં પ્રવેશી રીમા... આમ જુઓ તો રીમા એની આસપાસ જ હતી, પરંતુ માધવીના ગયા પછી એમના સંબંધનું સમીકરણ બદલાયું. રીમા અને માધવી એકમેકથી તદ્દન વિરોધાભાસી પાત્રો... માધવી માટે જિંદગી એટલે સ્વીકાર, સમર્પણ અને સ્નેહ. જ્યારે રીમા માટે સ્વમાન, સ્વાર્થ અને શરીર મહત્ત્વનાં... માધવી માટે પ્રેમ જ જીવનનો પર્યાય જ્યારે રીમા માટે પ્રેમ પણ પોતાની શરત વગર ન થઈ શકે. બંને વચ્ચે છે એક પુરુષ, મહેન્દ્ર. એ તદ્દન વિરોધાભાસી બે સ્ત્રીઓ સાથેના સંબંધમાં પોતાનું અસ્તિત્વ શોધવાનો પ્રયાસ કરે છે ત્યારે એ વધુ ગૂંચવાય છે, મહેન્દ્રને સમજાતું નથી, કે એને ખરેખર શું જોઈએ છે... જીવનની આથમતી સાંજે મહેન્દ્ર સ્વયંને લખે છે એક પત્ર - એવો પત્ર, જે એક પુરુષની દૃષ્ટિએ સંબંધોનો પ્રવાસ છે. સામાન્ય રીતે સ્ત્રીલેખકોનાં પુસ્તકોમાં સ્ત્રીની પીડાનો અહેસાસ વધુ તીવ્ર હોય છે, પરંતુ આ કથા મહેન્દ્રની છે... એક પુરુષ જીવનના નમતા તડકામાં પોતાના અસ્તિત્વને, પીડાને, એકલતાને જે પત્ર લખે છે એની કથા છે, ‘એક સાંજને સરનામે.’