કાજલ ઓઝા વૈદ્ય
સર રઘુનંદનસિંહ નરોત્તમ... એમની જિંદગીના છેલ્લા દિવસો એકલવાયા વિતાવી રહ્યા છે... બે દીકરા છે, શૈલરાજસિંહ અને સિકંદર. બે પત્નીઓ, શક્તિબા અને નિલોફર... પરંતુ, અત્યારે એમની સાથે એમના વફાદાર સેવક મહેરુ સિવાય કોઈ નથી!
સંતાનો અને પત્નીની પ્રતીક્ષા કરતાં રઘુનંદનસિંહ અંતે આંખો મીંચે છે... અને પાછળ છોડે છે, એક વિલ.
અત્યાર સુધી એકબીજાના લોહીના તરસ્યા, એકમેકને ધિક્કારતા રહેલા બે દીકરાઓએ એકબીજાની સાથે રહેવાનું છે-જો એમને રઘુનંદનસિંહની કરોડો રૂપિયાનો વારસો જોઈતો હોય તો! અહીંથી શરૂ થાય છે, એકમેકનો ચહેરો પણ નહીં જોવા ઈચ્છતા બે સાવકા ભાઈઓનો સહનિવાસ.
રાજપૂત પત્નીની કૂખે જન્મેલા, કાયદેસરના સંતાન શૈલરાજસિંહ અને પ્રેમિકા, બીજી પત્ની નિલોફરનો દીકરો સિકંદર.
શૈલરાજની પ્રેમિકા નિમ્મી અને સિકંદરની દોસ્ત અમૃતા, અજાણતાં જ આ યુધ્ધનો હિસ્સો બની જાય છે...
પછી શું થાય છે?
નિલોફર અને શક્તિબા પોતપોતાના ષડયંત્ર રચે છે? સિકંદર અને શૈલરાજમાંથી કોણ બચી જાય છે અને કોનું મૃત્યુ થાય છે? અંતે, વારસો કોને મળે છે?
આ તમામ સવાલોના જવાબો આપશે, મારી નવલકથા ‘લીલું સગપણ લોહીનું...’ ઝેર જેવું લીલું, છતાં અંતે તો લોહીનું સગપણ બે સાવકા ભાઈઓને, એક જ પતિની બે પત્નીઓને, એકમેકની સામે ઊભા કરે છે અને રચાય છે એક ચતુષ્કોણ જેના દરેક ખૂણે જુદા જુદા ઈમોશન્સ વાચકને જકડી રાખે છે. આ કથા એક પિતાના પ્રેમની, બે ભાઈઓના વેરની, બે પત્નીઓના અધિકારની અને જિંદગીની ચોપાટની કથા છે. ‘લીલું સગપણ લોહીનું’ માણસના નિયંત્રણમાં ન રહી શકતા એના પોતાના ઈમોશન્સની કથા છે.