રવીન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોરના જીવનના અંતિમ દાયકામાં તેમની નિકટ રહી તેમની સેવા કરનાર રાણી ચંદ તેમના વિવિધ મિજાજ અને વાતોને પુસ્તકમાં કંડારે છે. ગુરુદેવ વહેલી પરોઢે સૂર્યોદયનું સ્વાગત કરી પોતાના નિત્યક્રમ પતાવી લખવા બેસતા. ક્યારેક તેમના અતિપ્રિય શિમૂલના ઝાડ નીચે, કોઈ દિવસ મૃણમયીના ચોકમાં, તો ક્યારેક વળી શ્યામલીના વરંડામાં આંબાની છાંયમાં અને ક્યારેક લીંબોળીના ઝાડ પાસે બેસી કાવ્ય લખતા, ચિત્રો દોરતા ગુરુદેવ જાણે સાક્ષાત્ દેવમૂર્તિ ન હોય...!!
ઢળતી ઉંમરે વધુ હરીફરી ન શકતા ગુરુદેવ મોટેભાગે આશ્રમમાં શાંત જગ્યાએ રહેવાનું પસંદ કરતા. ક્યારેક તેમની વાતોમાં ન ગમતાં કામો પ્રત્યે અણગમો, ક્યારેક ઉંમરનો થાક સ્પષ્ટપણે વર્તાતો. છતાં કાવ્યલેખન અને ચિત્રકામનો આનંદ તેમનામાં નવા પ્રાણ પૂરતાં. ઘણી વાર સ્વગતોક્તિઓમાં તેમનો પ્રકૃતિ અને પૃથ્વી પ્રત્યેના પ્રેમ અને અહોભાવ છલકાતા.
આંખના પલકારે વીતી ગયેલાં શૈશવ અને યુવાનીના અનેક પ્રસંગો તેમના સ્મૃતિપટ પર તાજા થતા ત્યારે બદલાતા સમયના પ્રવાહ પ્રત્યે નિસબત દાખવતા. ધીરે-ધીરે દેહની ઇન્દ્રિયો અને મનની ઇચ્છાઓને સંકેલતાં ગુરુદેવ મૃત્યુને વધાવી રહ્યા છે. તેમના અંતિમ દિવસોમાં તેમના સમગ્ર જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે, જેમાં ગુરુદેવના આંતરબાહ્ય વિચારદ્વંદ્વ અને જીવન અને મૃત્યુની વાસ્તવિકતા પ્રગટ થતી જણાય છે. રવીન્દ્રનાથના ચાહકો અને વાચકો માટે આ પુસ્તકમાં તેમના જીવનનુ ભાવનાત્મક સરવૈયું બની રહેશે.