રવીન્દ્રનાથ ટાગોર
‘પરમ તત્ત્વ’ સાથેની ઐક્યપ્રાપ્તિને ઉપલબ્ધ કરવાની ‘સાધના’ કવિ રવીન્દ્રનાથ તેમ વિશિષ્ટ શૈલીમાં ઉદ્ઘાટિત કરે છે. આધુનિક સમયનું અનુસંધાન કરીને ભારતની પ્રાચીન ભાવનાનું (spirit) વ્યાપકપણે વિશ્લેષણ કર્યું છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે ટાગોર કુદરતના વિશાળ ખુલ્લા પરિવેશમાં જીવવાની હિમાયત કરે છે, જે માનવીને સત્યનાં રહસ્યો સમજવા સમર્થ બનાવે છે. ભૌતિક પ્રવૃત્તિમાંથી મુક્ત થયેલો માનવી આત્મ-સ્થ બને છે અને તેનું આત્મ-ચૈતન્ય ઉપશમ પામે છે. કવિ માને છે કે અનિષ્ટ અપૂર્ણતાનું આવિષ્કરણ છે, તે અ-નિત્ય છે. વહી રહેલા જીવનની ગતિ અનિષ્ટ તરફથી શિવ / કલ્યાણ (good) તરફની છે. ‘સ્વ’ (self) માનવીના દુઃખો અને દોષો માટે જવાબદાર છે. ‘સ્વ’ના વિલયથી અને પ્રેમનાં પ્રસ્ફુરણથી માનવી સ્વ-કેન્દ્રીતામાંથી ઈશ્વર-કેન્દ્રીત તરફ વિકાસ કરતો જાય છે. બ્રહ્મનો અ-સીમ પ્રેમ સીમિત સ્વરૂપો દ્વારા અવતરે છે. જીવનમાં અને જગતમાં પ્રેમની કાર્યપ્રણાલી (modus operedi) સ્થપાય ત્યારે સર્વત્ર સાચી મુક્તિ અનુભવાય.
કાર્ય (Action) ‘આનંદની લીલા’ છે. “ઈશ્વર પોતે જ્ઞાન, બળ અને કાર્ય છે.” (ઉપનિષદ). રવીન્દ્રનાથ પશ્ચિમની ભૌતિકતાને અવગણે છે, તો પૂર્વની સાધુઓની સમાજ-વિમુખતા અને એકાંતવાસને પણ નકારે છે. ચિંતન અને કાર્યનો સમન્વય આપણને સાધ્યની નિકટ લઈ જાય છે. વિશ્વમાં વ્યાપ્ત પ્રેમ અને આનંદને સમજવા સૌંદર્યની વિભાવના ઉપકારક નીવડે છે. કવિ કીટ્સ કહે છે તેમાં કવિવરની પૂરી શ્રદ્ધા છે ઃ “Beauty is Truth, Truth Beauty.” દુન્યવી વસ્તુઓના માલિકીભાવને માનવી જ્યારે અતિક્રમે છે ત્યારે તેની ચેતના અનંતના (Infinite) માર્ગે વિહરે છે. સીિમત (Finite)ની પેલે પારની તેની ઝંખના તેને અ-સીમ (Infinite) તરફ લઈ જાય છે.