સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
સમગ્ર બંગાળનું પરિભ્રમણ કરી એકેએક બાઉલને પ્રત્યક્ષ જાતે મળી સો વાતોની વિગતો એકઠી કરી છે! કેવો જબરો પરિશ્રમ! કોણ છે આ બાઉલ સંતો? આચાર્ય ક્ષિતિમોહન સેન ભારતીય સંતપરંપરાને બે શ્રેણીમાં વિભાજિત કરે છે, એક લોકવેદ અને બીજો અનભૌ સચ. જે લૌકિક પરંપરા તેમ જ વેદ આદિ શાસ્ત્રોના સિદ્ધાંતોને ચુસ્તપણે અનુસરે, તેમ જ વિધિવિધાનોનું પાલન કરે એને લોકવેદપંથના સંતો કહેવાય છે. લોકાચાર અને વેદ આચાર નહીં માનનારા બધા સંપ્રદાયના સાધુઓ આ વિભાગમાં આવે છે. તેઓ પોતાના સંપ્રદાયે માન્ય કરેલાં વિધિવિધાનોને પ્રામાણિકપણે વળગી રહે છે, જ્યારે પુરાતન શાસ્ત્રો અને પરંપરાનાં બંધનો તજીને નવેસરથી યોગ સાધે અને સમન્વયનો પ્રયત્ન કરે, અનુભવ દ્વારા પ્રત્યક્ષ થયેલા સત્યને માને તે અનભૌ સચ સંતો કહેવાય છે. બંગાળના બાઉલ સંતો, અવધૂત, મસ્ત, નેડા, સહજિયા, કર્ભજ્જાતા વગેરે મરમિયા યાને અને અનભૌ સંતો ગણાય છે. ઇસ્લામ સૂફીને બેશરા (એટલે કે શરિયતનું પાલન નહીં કરનારા) કહે છે. બાઉલો માને છે કે સહજ અવસ્થા સૌથી ઉત્તમ છે. બ્રહ્મમાં ડૂબી રહેવું તે સહજ અવસ્થા છે. મર્મી સંતો કહે છે કે મરીને જીવો. બાઉલોનો ધર્મ નિત્ય સહજ માનવધર્મ પર જ પ્રતિષ્ઠિત છે. બાઉલ એ મુક્ત માનુષ બનીને રહેવાનો પથ છે. બાઉલ પંથમાં જાતિ સંપ્રદાય નથી. બાઉલગાન કંઠસ્થ સ્વરૂપે જળવાયું છે. બાઉલ પંથની સાધના ગુપ્ત માર્ગ છે. આ ગુપ્તતાનું કારણ આચાર્ય ક્ષિતિમોહન સેને એક બાઉલને પૂછતાં, તેણે કહ્યું, “બાબા, આ સાહિત્ય નથી, આ અમારા અંતરંગની પ્રાણ વસ્તુ છે, અમારી આત્મજા છે.