સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
એક માન્યતા પ્રમાણે બૌદ્ધ ધર્મદર્શનને પોતાના અનુયાયીઓ સુધી પહોંચાડવા બૌદ્ધ સિદ્ધો દ્વારા રચવામાં આવેલાં ગીતો એટલે ચર્યાગીતો. આ ગીતોની મૂળ હસ્તપ્રતો નેપાળી-તિબેટી ભાષામાં મળી આવી.
૧૯૦૭માં ઈન્ડો-આર્યન ભાષાના વિદ્વાન આચાર્ય હરપ્રસાદ શાસ્ત્રી પ્રાચીન લિપિઓમાં લખાયેલાં આ ગીતોનુ સંશોધન કરે છે. ત્યારબાદ અનેક સંશોધનકર્તાઓએ તેની આવૃત્તિઓ રજૂ કરી.
સતીશચંદ્ર વ્યાસ આ તમામ સાહિત્યનો અભ્યાસ કરી ભાષાવિદ્ હરપ્રસાદ શાસ્ત્રીના ગ્રંથને આધારભૂત માની કેટલાંક ચર્યાગીતોનું ચયન કરી તેની સમજૂતી આપણા સુધી પહોંચાડે છે.
તિસ્તા નદીને કાંઠે વસેલા બાઉલ સંપ્રદાયની એક શાખા નેડા બાઉલનાં મૂળિયાં બૌદ્ધ સંપ્રદાય સાથે મળતાં જોવાં મળે છે. સતીશચંદ્ર વ્યાસ તેઓની રૂબરૂ મુલાકાત લઈ આ ચર્યાગીતોમાં રહેલા સારને સમજે છે.
બાઉલ દ્વારા આ ગીતોનું વિશિષ્ટ અર્થઘટન કરવામાં આવ્યું છે જે અન્ય કોઈ પુસ્તકમાં જોવા નથી મળતું. નેડા બાઉલો દ્વારા કથન રૂપે બોલવામાં આવતી આ ચર્યાઓના રાગો પણ છે અને તેમાં બૌદ્ધ અને જૈનદર્શનના શૂન્યતાવાદનો પડઘો પણ સાંભળવા મળે છે.
જન્મ, મરણ, કર્મ, બંધન, વૈરાગ્ય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીની સમજ આપતી આ ચર્યાઓ સાંભળવામાં તો મીઠી લાગે છે પરંતુ તેનો અર્થ આપણને આધ્યાત્મિક્તાની નિકટ લઈ જાય છે.
પ્રસ્તુત પુસ્તકમાં દરેક ચર્યાને પોતાના મૂળ સ્વરૂપની સાથે રજૂ કરી તેનો સમગાની ગુજરાતી અનુવાદ વિવરણ સાથે મૂકવામાં આવ્યો છે, જે દરેક ચર્યાને વધુ આસ્વાદ્ય બનાવે છે.