શૈલેશ પારેખ
૨૦મી સદીમાં ભારતભૂમિ પર રચાયેલા ઉત્તમ સાહિત્યમાંનું એક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્રસાહિત્ય. એમના સુપ્રસિદ્ધ બંગાળી કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ને બહોળા વાચક વર્ગ સુધી પહોંચાડવા કવિવરે પોતે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો, જે ૧૯૧૨માં પ્રગટ થયો. ત્યાર બાદ કાળક્રમે તેમનાં બંગાળી કાવ્યોએ અનેક અનુવાદકોને આકર્ષ્યા, જેમણે તેમનાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. અંગ્રેજી ‘ગીતાંજલિ’ અને અન્ય દ્વારા અંગ્રેજીમાં અનૂદિત કવિવરનાં કાવ્યો ગુજરાતના કાવ્યમર્મી શૈલેશ પારેખને પ્રભાવિત કરે છે અને તેઓ તેનો ગુજરાતી અનુવાદ કરવાની શરૂઆત કરે છે અને આપણને મળે છે કવિ રવીન્દ્રનાથ ટાગોરનાં ૪૮૦ કાવ્યો અને ગીતોનો દ્વિભાષી અનૂદિત કાવ્યસંગ્રહ ‘રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ’. માનવીમાં અને દિવ્ય તત્ત્વમાં વિશ્વાસની સુવાસ પ્રસરાવતાં મૂળ બંગાળી કાવ્યોના અંગ્રેજી અને ગુજરાતી અનુવાદ એકસાથે પ્રસ્તુત કરતો આ સંગ્રહ આપણને રવીન્દ્રનાથની સર્જકપ્રતિભાનો ઊંડો પરિચય કરાવે છે. સાથે તેમાં તેમની અનન્ય કાવ્યછટા દ્વારા વિષયવૈવિધ્ય અને વૈપુલ્યનાં પણ દર્શન થાય છે. પુસ્તકમાં દરેક અંગ્રેજી અનૂદિત કાવ્યની સામે ગુજરાતી અનુવાદ મૂકવામાં આવ્યો છે જે સંગ્રહને વધુ માણવા યોગ્ય બનાવશે.