હસમુખ ટાંક
ક્ષણેક્ષણ અનિશ્ચિતતાથી ભરેલા જીવનમાં સ્વસ્થતાથી જીવવાની જડીબુટ્ટી એટલે ‘સમજણ’, સુખમાં છકી ન જવાની અને દુઃખમાં ભાંગી ન પડવાની ચાવી એટલે સમજણ અને આ સમજણ કેળવવાની સમજણ આપતું પુસ્તક એટલે ‘સમજણની સૂરજબારી’.
આ પુસ્તકના દરેક પાને ખૂલે છે એક નવી સમજણની બારી, એક નવો રસ્તો, એક નવું દૃશ્ય, એક નવી વાત. પુસ્તકમાં પ્રસ્તુત સુખદુઃખ, માતા-પિતા, પરિવાર, મિત્રતા પરની સમજણ સંબંધોમાં સર્જાયેલી ખાઈ પૂરી સ્વજનોના હૃદય સુધી પહોંચાડે છે. સત્ય, પ્રામાણિકતા, ઉદારતા, ક્ષમા જેવા મૂલ્યવર્ધક વિષયો પરના વિચારો વ્યક્તિમાં આધારભૂત મૂલ્યોનું સિંચન કરી ઉત્કૃષ્ટ વર્તન દ્વારા ઉત્કૃષ્ટ માનવ બનવા તરફ દોરી જાય છે. હિંમત, ધ્યેય, વફાદારી, સાહસ, ધીરજ, આત્મવિશ્વાસ વિશેની વાતો કારકિર્દીમાં સફળતા મેળવવા માટે સહાયરૂપ બને છે, જ્યારે લઘુતાગ્રંથિ, શંકા, ઈર્ષા જેવા ભાવો પરના લેખો માનસિક સંઘર્ષ દૂર કરી આત્મસંયમ કેળવવા માટેનો માર્ગ બતાવે છે. સાથે દરેક વિષયના અંતે ચાર લીટીમાં અપાયેલો કાવ્યાત્મક સાર વિષયનો ઉપસંહાર રજૂ કરી તેને વધુ ગ્રાહ્ય બનાવે છે.
101 જેટલા વિવિધ વિષયોને આવરી લેતું આ પુસ્તક વાચક માટે 101 નવી બારીઓ ખોલી આપશે.