કાજલ ઓઝા વૈદ્ય
‘ગેટ વેલ સૂન’ શીર્ષક સાંભળતાં જ લાગે કે આ પુસ્તક શારીરિક સ્વસ્થતા વિશે વાત કરતું હશે, પરંતુ અહીં માઇન્ડ, બૉડી અને સોલની સ્વસ્થતા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સંબંધો અને જિંદગીમાં આવતી મોટા ભાગની સમસ્યાઓ મનના કારણે સર્જાતી હોય છે. પરિણામે માણસ ડિપ્રેશન, ઍન્ગ્ઝાઇટી, ફ્રસ્ટ્રેશન જેવા માનસિક રોગોનો શિકાર બને છે. પરંતુ આપણી માનસિક સમસ્યાઓને સ્વીકારવા તરફ આપણે આજે પણ આંખ આડા કાન કરીએ છીએ. આપણી જિંદગીના સ્ટિયરિંગ વ્હીલસમા મનને સમજવા માટેનો પ્રયાસ એટલે આ પુસ્તક.
કાજલબહેન તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ અને તેમના જીવનમાં બનેલા સાચા કિસ્સાઓનું સચોટ વિશ્લેષણ કરી અમુક તારણો સુધી પહોંચે છે. અને આ જ તારણો આ પુસ્તકના માધ્યમથી વાર્તાસ્વરૂપે આપણી સમક્ષ રજૂ કરે છે. દરેક પ્રકરણ માનવસ્વભાવની કોઈ નબળાઈ, મર્યાદા અથવા માનસિક રોગને ઉજાગર કરે છે, જેમ કે શૉપિંગ સિન્ડ્રૉમ, ચોખ્ખાઈ પ્રત્યે હઠાગ્રહ, સતત બદલાતો મૂડ, અહંકાર, ગુસ્સો, વધારે કે ઓછો આત્મવિશ્વાસ, નકારાત્મક વિચારો વગેરે. સરળ અને પ્રવાહી શૈલીમાં વાચક સાથે સીધો સંવાદ સાધતું આ પુસ્તક ઝેન ફિલોસૉફીના વિચાર ‘તમે જ કારણ છો અને તમે જ અસર છો’ દ્વારા વ્યક્તિને પોતાની સમસ્યાઓ માટે પોતે જ જવાબદાર હોવાનું ભાન કરાવે છે. આટલેથી અટકી ના જતાં, આ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવામાં મદદરૂપ થતું આ પુસ્તક વાચકને ‘સેલ્ફ હેલ્પ’ તરફ દોરી જાય છે.
આજના અતિવ્યસ્ત તનાવયુક્ત અને ટૅક્નૉલૉજીથી ઘેરાયેલા યુગમાં મનના વહેમો, સંબંધોની ગૂંચવણો અને રોજિંદા માનસિક તનાવને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવતું આ પુસ્તક એક ઉત્તમ માર્ગદર્શક સાબિત થશે.