મહર્ષિ વિશ્વામિત્ર સનાતન હિન્દુ ધર્મના ધર્મગુરુ તરીકે સ્થાપિત છે. તેમની અજોડ તપશ્ચર્યા, ક્રાંતિકારિતા અને જ્ઞાનસંપદા શ્રી ભાણદેવજીને આકર્ષી જાય છે અને તેઓ આ મહાન ઋષિના જીવન અને સર્જનની કથા આપણા હાથમાં મૂકે છે આ પુસ્તક સ્વરૂપે.
મહારાજ ગાધિના પુત્ર તરીકે જન્મેલા વિશ્વામિત્રના પ્રાગટ્ય અને પરિચયથી શરૂ થતું આ પુસ્તક અપ્સરા મેનકા દ્વારા તેમના તપોભંગ બાદ જન્મેલાં શકુંતલા અને રાજા ભરતના જન્મ સુધીનો ભવ્ય ઇતિહાસ આપણી સમક્ષ રજૂ કરે છે. પ્રભુ શ્રીરામની જીવનલીલાના અનેક પ્રસંગોમાં વિશ્વામિત્રજી પણ સંલગ્ન છે, જેમાં યજ્ઞમાં અવરોધ ઊભો કરનાર અસુરોનો વધ અને અહલ્યાના ઉદ્ધારના પ્રસંગોનું અનન્ય વર્ણન પુસ્તકમાં ઉપલબ્ધ છે. તેમના મુખે રામ-લક્ષ્મણને કહેવાયેલી ગંગાઅવતરણની પુણ્યકથા વિશ્વામિત્રના ગુરુકર્મને આલેખે છે. એક ક્ષત્રિય કુળમાં જન્મ લેનાર વિશ્વામિત્ર ક્ષાત્રવૃત્તિનો ત્યાગ કરીને બ્રાહ્મણત્વ અપનાવી મહાતપના પ્રભાવથી બ્રહ્મર્ષિનું બિરુદ પામે છે તેની અલૌકિક ગાથા અહીં પ્રસ્તુત છે. સદેહે સ્વર્ગમાં જવાની ઇચ્છા ધરાવનાર રાજા ત્રિશંકુનુ દેવરાજ ઇન્દ્રના શ્રાપ દ્વારા ઊંધા લટકવું અને વિશ્વામિત્ર દ્વારા તેના ઉદ્ધારની કથા પાછળ રહેલા આધ્યાત્મિક અર્થને પણ ભાણદેવજી અહીં ઉજાગર કરે છે. મહર્ષિ વશિષ્ઠ અને વિશ્વમિત્ર વચ્ચે કામધેનુ ગાયને પામવા માટે સર્જાયેલા વૈમનસ્ય ઉપરાંત બંને વચ્ચે રહેલો ઋષિ આદર વૈદિકકાળની ઋષિપરંપરાની મહાનતાનો પરિચય કરાવે છે. અને અંતે વિશ્વામિત્ર અને નદી વચ્ચે થયેલા સંવાદરૂપે રચાયેલું સૂક્ત વેદોની ઐતિહાસિક બાજુને રજૂ કરી વૈદિક પરંપરાનું માહાત્મ્ય સમજાવે છે.
બ્રહ્મર્ષિ, મહર્ષિ, રાજર્ષિ એવા ભારતવર્ષના મહાનતમ અને પરમવીર ઋષિ વિશ્વામિત્રના પ્રાગટ્યથી લઈને તેમની ઉત્ક્રાંતિની કથાનું વર્ણન કરતું પુસ્તક વાચકોમાં આધ્યાત્મિક ચેતના જગાવે છે.