શ્રી ભાણદેવજી
જન્મ સાથે શરૂ થતી જીવનની યાત્રા મૃત્યુ સાથે પૂરી થાય છે, પરંતુ મૃત્યુ તો માત્ર વિરામ છે. આત્માની યાત્રા તો અવિરત ચાલતી રહે છે. આ યાત્રા ત્યારે પૂરી થાય જ્યારે જીવ પોતાના મૂળ સ્વરૂપ એટલે કે આત્માને જાણી શકે. આત્માને જાણવાની આ યાત્રા એટલે અધ્યાત્મવિદ્યા. આત્માને ઓળખવાની અનેક રીતો વેદો અને ઉપનિષદોમાં વર્ણિત છે. શ્રી ભાણદેવજી વેદો અને ઉપનિષદોનો ગહન અભ્યાસ કરી અધ્યાત્મમાર્ગ પર ચાલનાર યાત્રીની સફરને સરળ બનાવે છે. પ્રસ્તુત પુસ્તકની શરૂઆત વેદની વ્યાખ્યા, તેના પ્રકાર અને તેને અનુસરવાની અને સમજવાની પદ્ધતિઓની સમજૂતીથી કરવામાં આવી છે. વેદ મનુષ્ય માટે જીવનવેદ છે. તેની પુષ્ટિ કરવામાં આવી છે. આત્માની ઓળખ માટે વેદોમાં બતાવવામાં આવેલી સાધનાપદ્ધતિઓ શ્રવણ, મનન અને નિદિધ્યાસની સંપૂર્ણ પ્રક્રિયા આ પુસ્તક દ્વારા સમજવા મળે છે. વેદોના સારસમાન મહાવાક્યો, જેવાં કે ‘તત્ત્વમસિ’ અને ‘અહં બ્રહ્માસ્મી’નું માહાત્મ્ય ઉજાગર કરવામાં આવ્યું છે. સમયાંતરે હિન્દુઓ અને હિન્દુ દેવોના આર્ય હોવાની શંકાને શાસ્ત્રોના આધારે દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. શ્રી ભાણદેવજી વિવિધ દર્શનપદ્ધતિના પ્રખર અભ્યાસુ હોવાના નાતે તેમણે કાન્તદર્શન અને અનેકાન્તદર્શન વિશે સુંદર સમજૂતી રજૂ કરી છે. તેમ જ ટાગોર, ગાંધી અને મહર્ષિ અરવિંદના કેળવણીદર્શનને પોતાની દૃષ્ટિએ મૂલવી અધ્યાત્મદર્શન કરાવવાનો પ્રયાસ કર્યો છે. આત્માને સમજાવતા સર્વોચ્ચ ગ્રંથ ગીતાના અધ્યાત્મદર્શનને સંક્ષિપ્તમાં રજૂ કરી તેનું રસપાન કરાવ્યું છે, તો ક્યાંક વળી ભક્તિને પ્રભુપ્રાપ્તિના ઉત્તમ માર્ગ તરીકે પ્રસ્થાપિત કરી તેના વિશે સુંદર લેખ રજૂ કર્યો છે. એક આત્માની ઓળખ કરાવતા વિવિધ રસ્તાઓ અને દર્શનપદ્ધતિઓનો સુમેળ ધરાવતું આ પુસ્તક અધ્યાત્મપથના યાત્રીઓ માટે દીવાદાંડીસમાન સાબિત થશે.