શ્રી ભાણદેવજી
ભારતવર્ષની મહાન ગાથા મહાભારત, જેનું દરેક પાત્ર સમગ્ર કથામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ પાંચ પાંડવોમાં ત્રીજા એવા અર્જુનનું પાત્ર તેના વ્યક્તિત્વ, તેજસ્વિતા અને સર્વગુણ સંપન્નતાના કારણે મહાભારતનું કેન્દ્રીય પાત્ર બની રહે છે. ઇન્દ્રના આવાહનથી માતા કુંતીની કૂખે અવતરેલો અર્જુન પોતાની એકાગ્રતા, બુદ્ધિચાતુર્ય અને વિદ્યાપરાયણતાને લઈને ગુરુ દ્રોણાચાર્યનો પ્રિય શિષ્ય બને છે. અર્જુનના જ મત્સ્યવેધને કારણે દ્રૌપદી પાંડવોને વરે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં માનસિક રીતે હારી ગયેલા અર્જુનને સંબોધીને જ તો શ્રીકૃષ્ણના મુખે ગીતા કહેવાઈ છે.
મહાન વીર અર્જુનની જીવનયાત્રાને આલેખવાના પ્રયાસરૂપે શ્રીભાણદેવજી દ્વારા લખાયેલું આ પુસ્તક અર્જુનના પ્રાગટ્યથી લઈને તેના લીલાસંવરણ સુધીની સમગ્ર વાતોને આવરી લે છે. નર અને નારાયણના સંયુક્ત અવતારરૂપે અર્જુન અને શ્રીકૃષ્ણની મૈત્રીનું ભાવપૂર્ણ નિરૂપણ જોવા મળે છે.
સૂર્ય અને ચંદ્રવંશના પ્રાગટ્યની સમજૂતી સાથે શરૂ થતું આ પુસ્તક પ્રાચીન ભારતની અનેક પરંપરાઓ, વિચારધારાઓ અને સંસ્કૃતિનો પરિચય કરાવી વાચક સમક્ષ એ મહાન યુગને જીવંત કરી મૂકે છે. મહાન વીર અર્જુનની જીવનકથા આલેખવાના પ્રયાસરૂપે લખાયેલું આ પુસ્તક વાચકને મહાભારતના રસપાનની પણ અનુભૂતિ કરાવશે.