શ્રી ભાણદેવજી
હિમાલય માત્ર હિમાચ્છાદિત પર્વતશૃંખલા જ નથી, પરંતુ અનેક પવિત્ર તીર્થધામોનો સમૂહ પણ છે. જેમાંથી અધિક માહાત્મ્ય ધરાવે છે ચારધામ યાત્રા, જેમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથનો સમાવેશ થાય છે.
- સામાન્યતઃ દુર્ગમ ગણાતી આ યાત્રાની શરૂઆત કેવી રીતે કરવી?
- ટ્રેન તેમ જ હોટેલોનું બુકિંગ કેટલા દિવસ માટે કરાવવું અને સામાનમાં કેટલી અને કેવી વસ્તુઓ રાખવી?
- યાત્રા દરમિયાન કેવા પ્રકારનાં કપડાં અને નાસ્તો જરૂરી છે?
- યાત્રાનો કયો માર્ગ સહેલો અને ઝડપી છે?
આ તમામ પ્રશ્નોના જવાબ શ્રી ભાણદેવજીએ આપણા સુધી પહોંચાડ્યા છે. ચારધામનું પ્રવેશદ્વાર ગણાતા હરિદ્વારથી આરંભાતી આ યાત્રાનું વર્ણન ખૂબ ઉપયોગી બની રહે છે. હરિદ્વાર અને હૃષીકેશનાં દર્શનીય સ્થળો, મંદિરો, આશ્રમો, રહેવા-જમવા માટેની ધર્મશાળાઓની માહિતી તથા ગંગાસ્નાનનો વિધિ પણ સમજાવ્યો છે. સૌપ્રથમ યમનોત્રી પહોંચ્યા બાદ તેની આસપાસનાં ધાર્મિક સ્થળો, ઘાટો તેમ જ ત્યાંથી ગંગોત્રી જવાના રૂટની વિગતવાર માહિતી અહીં આપી છે તથા કેદારનાથ અને બદરીનાનાથની યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. મોટા ભાગે યાત્રીઓ દ્વારા ટાળવામાં આવતા સતોપથ અને પાતાલભુવનેશ્વરની યાત્રાનું વર્ણન ખૂબ જ રોમાન્ચક અને પ્રેરક છે. ગંગાના પ્રાગટ્યથી લઈને તેનાં અલગ અલગ નામ, સ્વરૂપો, પ્રવાહો અને તેના સંગમોનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ વાચકોને અભિભૂત કરી મૂકે તેવો છે. હિમાલયનાં વિવિધ રમણીય સ્થળોનું માહાત્મ્ય તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાનું વર્ણન સંસ્કૃત શ્લોકો સાથે કરવામાં આવ્યું છે, જે તેના આધ્યાત્મિક મહત્ત્વને ઉજાગર કરે છે. ચારધામ યાત્રાએ જવા માગતા દરેક યાત્રી માટે આ પુસ્તક એક ઉત્તમ અને સંક્ષિપ્ત માર્ગદર્શિકા બની રહેશે.